Friday, 5 January 2018

અસરકારક શિક્ષણ(Effective education)-ભાગ-1-પૂર્વજ્ઞાનની(Precognition) ચકાસણી- અસરકારક જ્ઞાન પ્રસાર(education) માટેનું આવશ્યક કૌશલ્ય(skill)



પૂર્વજ્ઞાનની(Precognition) ચકાસણી- અસરકારક જ્ઞાન પ્રસાર(education) માટેનું આવશ્યક કૌશલ્ય(skill)

બાળકને વિવિધ પ્રકારે માહિતી પ્રાપ્ત થતી હોય છે. શાળા સિવાય અન્ય માધ્યમો દ્વારા પણ જ્ઞાન પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ શાળા બહારના જ્ઞાનની અસરકારકતા શાળામાં અપાતા જ્ઞાન કરતા ઓછું અસરકારક હોઇ શકે છે. આથી શાળાની જવાબદારી બને છે કે શાળા દ્વારા થતું જ્ઞાન પ્રસારનું કામ અસરકારક બને તેવા પ્રયત્નો કરે. જો શાળાનું શિક્ષણ અસરકારક ન બને તો શાળાની કોઇ આવશ્યકતા રહેતી નથી. આથી શાળાએ અસરકારક શિક્ષણ માટેના પ્રયત્નો હાથ ધરી શકે છે. શિક્ષક પોતાની જ્ઞાન અને સમજને આધારે શાળા શિક્ષણને અસરકારક બનાવી શકે છે. શિક્ષણને અસરકારક બનાવવા માટેનું એક પગલું છે પૂર્વજ્ઞાનની ચકાસણી કરવી. અહી પૂર્વજ્ઞાન દ્વારા અસરકારક શિક્ષણની વાત કરવામાં આવી છે.
  • પૂર્વજ્ઞાનની(Precognition)  ચકાસણી- પૂર્વજ્ઞાન શબ્દથી જ અર્થ જણાઇ આવે છે કે પૂર્વ=પહેલાંનું અને જ્ઞાન એટલે જ્ઞાન પહેલાનું જ્ઞાન(અગાઉનું જ્ઞાન) બાળકને વર્ગમાં આવતાં પહેલાં અનુભવ આધારિત તેમજ અગાઉના વર્ગનું જ્ઞાન હોય છે. અને આ જ્ઞાન દરેક બાળકમાં અલગ-અલગ પ્રકારનું હોય છે.  આથી આ જ્ઞાનની ચકાસણી કરવી ખૂબ જ આવશ્યક બની જાય છે. દા.ત. વર્ગમાં 30 બાળકો હોય તો ત્રીસે બાળકમાં પૂર્વજ્ઞાનમાં (Precognition) ભિન્નતા જોવા મળશે. જેમકે શિક્ષકે ગણિતનું અધ્યયન કરાવવું છે ત્યારે વર્ગમાં અલગ-અલગ પૂર્વજ્ઞાન ધરાવતા બાળકો હશે. જેમકે કોઇક બાળકને માત્ર સરવાળાનું જ જ્ઞાન હશે. કોઇક બાળકને સરવાળા અને ગુણાકાર બંનેનું જ્ઞાન હશે. કોઇક બાળકને સરવાળા, ગુણાકાર અને બાદબાકીનું જ્ઞાન હશે. કોઇક બાળકને સરવાળા, ગુણાકાર, બાદબાકી તેમજ ભાગાકારનું જ્ઞાન હશે. આવા સમયે જો ગણિતના અવયવ શીખવવા છે તો જે બાળકો સરવાળા, બાદબાકી, ગુણાકાર તેમજ ભાગાકાર જાણે છે તે ઝડપથી શખી જશે. જ્યારે જે બાળકને માત્ર સરવાળાનું જ જ્ઞાન છે તે તો અવયવને માથાનો દુખાવો જ સમજશે. શિક્ષક જો પૂર્વજ્ઞાનની(Precognition) ચકાસણી કર્યા વિના જ અધ્યયન કરાવવા લાગશે તો વર્ગના દરેક બાળક અધ્યયન નહીં કરી શકે અને અસરકારક શિક્ષણ સંભવી શકશે નહીં. આથી શિક્ષકે પ્રથમ બાળકના પૂર્વજ્ઞાનની(Precognition) ચકાસણી કરવી જોઇએ. બાળકના પૂર્વજ્ઞાનને શોધવા માટે થોડી પ્રવૃ્ત્તિઓ આપી છે.
  • પૂર્વજ્ઞાન(Precognition)  ચકાસણી માટેની પ્રવૃત્તિઓ 
  1. મૌખિક કસોટી દ્વારા- શિક્ષક બાળકના પૂર્વઅનુભવો તેમજ પૂર્વજ્ઞાનની ચકાસણી બાળકને મૌખિક પ્રશ્નો પૂછી તેના જવાબો મેળવી કરી શકે છે. આ માટે શિક્ષકે પોતાના હેતુ અનુરૂપ મૌખિક પ્રશ્નો તૈયાર કરી વર્ગમાં તેમજ વર્ગ બહાર અધ્યેતાને પૂછી જવાબ મેળવી તે જવાબોનું પૃથક્કર કરી તારણો મેળવી પૂર્વજ્ઞાન જાણી શકાય છે. શિક્ષકે બાળક દ્વારા અપાયેલા જવાબની નોંધ રાખવી જોઇએ.
  2. લેખિત કોસોટી દ્વારા- જે રીતે મૌખિક પ્રશ્નો દ્વારા પૂર્વજ્ઞાન ચકાસણી કરી શકાય તે જ બાળકની લેખિત કસોટી દ્વારા પણ પૂર્વજ્ઞાન જાણી શકાય છે. મૌખિક જવાબ આપતી વખતે બાળક સંકોચ અનુભવતો હોય છે તો  એ બાબત અહી ટળી જાય છે બાળક મુક્ત રીતે જવાબ આપી શકે છે. મૌખિક અભિવ્યક્તિ જે બાળક પાસે નથી તેવા બાળક પાસેથી પણ જ્ઞાન મેળવી શકાય છે. 
  3. અવલોકન દ્વારા- મૌખિક તેમજ લેખિત અભિવ્યક્તિ ન ધરાવતા બાળકોનું પણ પૂર્વજ્ઞાન જાણી શકાય છે તે આ પદ્ધતિનો મહત્ત્વનો લાભ ગણાવી શકાય. બાળકનું વર્તન, વર્ગ દરમિયાન, વર્ગ બહારની પ્રવૃ્ત્તિઓ, બાળકનું અગાઉનું ગૃહ કાર્યબાળકની ક્રિયાશીલતા વગેરે બાબતોનું અવલોકન કરવાથી બાળકની નબળાઇ તેમજ ખાસિયતો જાણી શકાય છે. અવલોકન દિશાવિહિન નહોવું જોઇએ પરંતુ ચોક્કસ હેતુ આધારિત અવલોકન હોવું જોઇએ. અવલોકનમાં નિષ્પક્ષ રહેવું ખૂબ જરૂરી છે. કોઇ ધારણા ન બાંધી લેવી જોઇએ. અવલોકન દરમિયાન બાળકને જાણ ન થવા દો કે શિક્ષક તેનું અવલોકન કરી રહ્યાં છે. અવલોકનના વિવિધ તબક્કે નોંધ રાખવી ખૂબ આવશ્યક છે નોંધ આધારે જ તમે બાળકના પૂર્વજ્ઞાનનો અંદાજ મેળવી શકશો.
  4. વિદ્યાર્થીને અધ્યયન કરાવનાર અગાઉના અધ્યાપકના અભિપ્રાયો મેળવીને- વિદ્યાર્થીને અધ્યયન કરાવનાર અગાઉના અધ્યાપક તે વિદ્યાર્થીથી પરિચિત હોય છે અને તેને વિદ્યાર્થી વિશે જાણ પણ હોય છે તો તેનો સંપર્ક  કરી વિદ્યાના પૂર્વજ્ઞાનની ચકાસણી કરી શકાય છે અગાઉના અધ્યાપક સાથે ચર્ચા સંભવી ન શકે તો તેવા સંજોગો એ નિશ્ચિત હેતુ આધારિત અભિપ્રાયાવલિની રચના કરી જે તે શિક્ષક પાસેથી અભિપ્રાયો મેળવી પૂર્વજ્ઞાન જાણી શકાય છે.
  5. સ્ટાફ ચર્ચા દ્વારા- સ્ટાફ મિટિંગ દમિયાન પૂર્વજ્ઞાનની જાણ માટેના વિદ્યાર્થીની વાત મુકી શકાય. અને સ્ટાફ શુ કહે છે તેને આધારે પૂર્વજ્ઞાન જાણી શકાય. આચાર્યને રૂબરૂ મળી ચર્ચા કરી શકાય. અને સ્ટાફ મિત્રોને એકાંત મળી ચર્ચા કરી શકાય તેમજ જૂથ ચર્ચા દ્વારા પણ પૂર્વજ્ઞાન જાણી શકાય. સ્ટાફ ચર્ચામાં હેતુ બહારનું જ્ઞાન આવવાની સંભાવના હોય છે પરંતુ શિક્ષકે આવા સમયે પોતાના હેતુને અનુરૂપ મળતી માહિતી પર જ ધ્યાન આપવું અને ચર્ચા દરમિયાન વિષય ફંટાય નહી તે માટે તમને લાગે વિષય બહાર જઇ રહ્યા છે તો ત્યારે થોડી વાર રહી પાછો પોતાનો મુદ્દો મુકી શકાય. સ્ટાફના મિત્રો પણ તે બાળના સંપર્કમાં આવતાં હોય છે તો તેમનું મૂલ્યાંકન બાળકના પૂર્વજ્ઞાન જાણવામાં મદદરૂપ બની શકે છે.
  6. વાલી સંપર્ક દ્વારા- બાળકના સામાજિક તેમજ બાહ્ય પૂર્વજ્ઞાન જાણવા બાળકના વાલીની મૂલાકાત કરી શકાય. રહેવાની જગ્યા તેમજ વાલી સાથેની ચર્ચાને આધારે બાળકના પૂર્વજ્ઞાનની ચકાસણી કરી શકાય છે. વાલી પાસે ફરિયાદી બની ન જાઓ પરંતુ વિદ્યાર્થી બની જાઓ. આ માટે વાલીને પૂછવાના પ્રશ્નોની અગાઉથી તૈયારી કરી શકાય. પ્રશ્નાવલિ, અભિપ્રાયાવિલિ જેવા ઉપકરણોનો ઉપયોગ પણ કરી શકાય .

  • પૂર્વજ્ઞાન ચકાસણી બાદ અધ્યયન કાર્ય

  પૂર્વજ્ઞાન ચકાસ્યા બાદ ઉપચાર કાર્ય કરવું ખૂબ આવશ્યક છે. શિક્ષક સામે સમસ્યા એ આવે છે કે એક જ સમયે અલગ-અલગ પ્રકારના પૂર્વજ્ઞાન યુક્ત વિદ્યાર્થીનું અધ્યયન કાર્ય કરવાનું છે. આવા સમયે નીચે જેવી પ્રયુક્તિઓ અજમાયશ કરી શકાય

  • જૂથ આધારિત અધ્યાપન

અલગ-અલગ મળેલ પૂર્વજ્ઞાનને કોઇ નિશ્ચિત સીમા નિર્ધારણ કરી નબળું, મધ્ય અને ઉચ્ચ જેવા જુથ પાડી શકાય. આ ઉપરાંત અધ્યયન વસ્તુને આધારે જૂથ પાડી શકાય જેમકે માત્ર સરવાળાનું જ્ઞાન ધરાવતું જૂથ, સરવાળા અને બાદબાકીનુ જ્ઞાન ધરાવતું જૂથ, સરવાળા, બાદબાકી અને ભાગાકારનું જ્ઞાન ધરાવતું જૂથ. વગેરે પ્રકારે જૂથ વિભાજન કરી એક જ સમયે એક જ વર્ગમાં અલગ-અલગ જૂથને અલગ- અલગ અધ્યયન કરાવી શકાય. દરેક જૂથને સમય ફાળવવો અતિ આવશ્યક છે. વર્ગ વ્યવવસ્થા તૂટવાનો ભય રહેતો હોય છે આથી વર્ગવ્યવસ્થા જળવાઇ રહે તેનું આગવું આયોજન કરી શકાય. પ્રજ્ઞાવર્ગ આધારિત જૂથ વિભાજન પણ કરી શકાય અને તે આધારે અધ્યયન કરાવી શકાય. આનું નબળું પાસું એ છે કે વર્ગકાર્ય ખૂબ ધીમું ચાલે છે.

  • અલગ તાસનું આયોજન-

જેમનું પૂર્વજ્ઞાન ઓછું છે તેવા બાળકો ચાલું તાસમાં દરેકની સાથે અધ્યયન કરે અને અલગ તાસમાં પૂર્વજ્ઞાન આધારિત અધ્યયન કરે તેવી વ્યવસ્થા કરી શકાય. શિક્ષકની કામગીરી વધે છે.
અલગ અધ્યાપક દ્વારા અધ્યયન- પૂર્વજ્ઞાન આધારિત આસપાસના વિસ્તારના કોઇ વિદ્વાનને આ કામગીરી સોંપી શકાય જે શાળામાં અથવા શાળા સમય સિવાયના સમયમાં બાળકનું અધ્યયન કરાવે.

  • નીચેના વર્ગના શિક્ષકને સોંપી શકાય.- નીચેના વર્ગનો શિક્ષક એટલે કે બાળક જે વર્ગમાં આવ્યો છે ધારોકે 6ના વર્ગમાં બાળક છે તો 1 થી 5નું અધ્યયન કરાવનાર શિક્ષક નીચેના વર્ગનો શિક્ષક ગણી શકાય. નીચેના વર્ગનો શિક્ષક બાળકને જે પૂર્વજ્ઞાન નથી તેનું જ અધ્યયન કરાવતો હોય છે તો આપણા વર્ગના જે તે કક્ષાના પૂર્વજ્ઞાન યુક્ત બાળકને નિમ્ન વર્ગના શિક્ષક પાસે અધ્યયન માટે મોકલી શકાય. શિક્ષક પર ભાર રહેતો નથી. શિક્ષણ કાર્ય ધીમું રહેતું નથી. બાળક હિનભાવની લાગણી અનુભવી શકે છે કેમકે બાળકે તેનાથી નાની ઉંમરના બાળક સાથે અધ્યયન કરવાનું થાય છે.

  • વધારાના વર્ગો – શાળા સમય સિવાયના સમયે બાળકનું અધ્યયન કરાવી શકાય.  


પરીવાર કરે શિક્ષણનું કામ



પરીવાર કરે શિક્ષણનુ કામ
પરમાર અનિલ એન.
શિક્ષક શ્રી કુંભણ કન્યા પ્રા.શાળા,
પીએચ.ડી. સ્ટુડન્ટ ગૂજરાત વિદ્યાપીઠ

      વિદ્યાર્થીના અભ્યાસ પર શાળામાં થતા કાર્યની અસર ઘણી મોટી હોય છે. તે ઉપરાંત તે જે સમય શાળાની બહારના વાતાવરણમાં એમાંય પરીવારમાં વ્યતીત કરે છે તેની અસર પણ રહે છે. શાળામાં પ્રેમ અને હુંફ મેળવવા માટે ફાંફા મારતો વિદ્યાર્થી ક્યારે તેના પાંચ કલાક પૂર્ણ થાય તેની રાહ જોતો હોય છે. સલામતીની પરિસ્થતિમાં માનસિક સ્વસ્થતા વધે છે અને તે જ પરિસ્થતિમાં શિક્ષણ કાર્ય સારુ થાય છે તેવું મનોવિજ્ઞાન કહે છે. એક બાળક માટે પરિવારથી મોટી સલામત જગ્યા કોઈ નથી. પણ સમસ્યા એ છે કે પરિવાર દ્વારા શિક્ષણ કાર્ય થતુ નથી. પરિવાર જો બાળકના શિક્ષણકાર્યમાં ઝંપલાવે તો તેના આગવા પરરિણામો પ્રાપ્ત થાય છે. જેમ કે અબ્દુલ કલામ. તેમનું શિક્ષણકાર્ય તેના પિતામહ પકીર, તેના પિતા જૈનાલુબ્દીન તેમજ માતા આસિયામા દ્વારા થયુ. અબ્દુલ કલામના પરિવારે પરિવારમાં જ શિક્ષણમય વાતાવરણ ઊભુ કરી દેશના ઘડવૈયા માટેનો પાયો મજબૂત કરી નાંખ્યો હતો. તેવી જ રીતે મહાત્મા ગાંધી, શિવાજી વગેરે દ્રષ્ટાંતો આપણને સમાજમાંથી પ્રાપ્ત થાય છે કે પરીવાર જો શિક્ષણમય વાતાવરણ તૈયાર કરે તો તે બાળકના સંપૂર્ણ વિકાસમાં ખૂબ મોટો ફાળા સમાન બની રહે છે.
      કેળવણીકાર જ્યોતિ થાનકી કહે છે બાળક પોતાનો મોટાભાગનો સમય કુંટુંબમાં અને ઘરમાં પસાર કરે છે, ત્યારે કુટુંબનું વાતાવરણ, કુટુંબની રીતભાત, કુટુંબના સંસ્કારો, માતા-પિતાનું વલણ-આ બધું તેના ઘડતરમાં ઘણો જ ભાગ ભજવે છે. બાળકોના શિક્ષણમાં માતા-પિતા ગાઢ રીતે સંકળાયેલા છે.
      આમ, ઉપરોક્ત કથનથી  દ્રષ્ટિત  થાય છે કે એક પરીવારે શાળા પર સંપૂર્ણ આશ્રિત ન થતા પરિવારમાં જ શિક્ષણકાર્ય થાય તેનું આયોજન કરવું જોઈએ. એક પરીવારને શાળા કઇ રીતે બનાવી શકાય તે બાબતો આપણે નિહાળીએ.
1                     માતા-પિતાનું કર્તવ્ય :
      પાણી પહેલા પાળ બાંધવી એ કહેવત બાળકના શિક્ષણના સંદર્ભે સૂચક છે. એટલે કે બાળકના જન્મ પહેલા જ તેના શિક્ષણની શરૂઆત આરંભી દઇએ. મહાભારતનુ અભિમન્યનું પાત્ર તેની માતાના ગર્ભમાં જ યુદ્ધ કળા શિખ્યો હતો. મનોવિજ્ઞાન પણ કહે છે કે બાળક ગર્ભાવસ્થા દરમિયાન શીખવા લાગે છે. આથી જ પશ્ચિમની સંસ્કૃતિમાં ગર્ભાવસ્થિત સંસન્નારીઓ વર્કશોપમાં હિસ્સેદાર બનતી હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાની બે મહત્ત્વપૂર્ણ જવાબદારી રાખવાની હોય છે. એક શારીરિક સ્વાસ્થ્યને લગતી જવાબદારીઓ. જે બાબતે માતાએ ડૉક્ટરની સલાહાનુસાર મેડિસિન તેમજ આહાર જાળવવો તથા આરોગવો જોઈએ. માતાએ ભારે મહેનતથી બચવું જોઈએ. બીજી બાબત છે માનસિક સ્વાસ્થ્ય. માતાનો સંપૂર્ણ હકારાત્મક અભિગમ બાળકને પણ તેજસ્વી બનાવે છે. આ માટે પ્રાણાયામ કરવાથી લાભ થાય છે. તેમજ શક્ય બને તો માઈન્ડ વર્કશોપમાં પણ જોડાઈ શકાય. ગર્ભાવસ્થા દરમિયાન માતાએ બદીઓ, ખરાબ વિચારો તેમજ ખરાબ માધ્યમોથી સદંતર દૂર રહેવુ. મન તંદુરસ્ત  રહે તે માટે હાસ્ય કાર્યક્રમો વધારે નિહાળવા તેમજ પ્રાકૃતિક વાતાવરણમાં ટહેલવાનું રાખી શકાય.આ ઉપરાંત પરીવારના અન્ય સભ્યોની પણ જવાબદારી બને છે કે તે માતાને માનસિક ત્રાસ ન આપે. જેનાથી આવનાર બાળક પર પણ અસર થઈ શકે છે.
      શ્રી માતાજી કહે છે,   માતા હંમેશા ધ્યાન રાખશે કે તેના વિચારો સદાય સુંદરને વિશુદ્ધ પ્રકારના હશે. તેની લાગણીઓ ઉમદાને ઉત્તમ પ્રકારની હશે. તેમજ તેની આસપાસની પરિસ્થતિ બને તેટલી સંવેદનાભરી ક્લેશરહિત અને ખૂબ જ સાદાઈથી ભરેલી હશે. આ ઉપરાંત માતાની અંદર એક રીતનો જાગૃત સંકલ્પ હોવો જોઇએ કે, મને જે ઉત્તમોત્તમ આદર્શ દેખાય છે તે મુજબ મારે મારા બાળકને ઘડવું છે 
      આમ, જો માતા ઉપરની પરિસ્થતિ પ્રમાણે રહે તો એક ઉત્તમ બાળકના આગમનના સંજોગો પેદા કરી શકાય છે.
2                     પરિવારનું વાતાવરણ
      પહેલુ પગથિયું છે પ્રેમ : પ્રેમની આવશ્યકતા તો બધે છે. પરિવાર તેનાથી અલગ નથી. પ્રેમ એટલે અહીં સલામતીની ભાવનાનો વિકાસ થવો. શાળામાં બાળકોની સંખ્યા વધારે હોવાથી સલામતીની ભાવના દરેક બાળકને મળતી નથી કદાચ એ બાળક આપણું પણ હોઇ શકે. આથી પરીવારની જવાબદારી બને છે કે તે પરિવારમાં સલામતીની ભાવનાનો વિકાસ કરે. પ્રેમ એટલે બાળકની જરૂરીયોતો સંતોષવી કે બાળકની હઠ પૂરી કરવો તેવો કદી નથી પરંતુ અહીં પ્રેમ એટલે બાળકની દેખભાળ રાખવી, બાળકને વિશ્વાસ અપાવવો, બાળકને વિશ્વાસ આવવો જોઇએ કે મારો પરિવાર સારુ અને સાચુ જ કરે છે અને બાળકની સંપૂર્ણ સુરક્ષા રાખવી વગેરે આ બધી બાબતો પ્રેમ અંતર્ગત સમાવી શકાય.
      પરીવાર બાળકને પ્રેમ કરતો જ હોય છે પણ સલામતીની ભાવના આપવામાં નિષ્ફળ જતો હોય છે. ત્યારે બાળક પરીવારથી દૂર જવાના પ્રયાસો કરતો હોય છે. પ્રેમમાં સલામતી ન અનુભવાતા બાળકને પોતાના પરિવાર પર વિશ્વાસ રહેતો નથી. તે પોતાના માતા-પિતા દ્વારા અપાયેલી આજ્ઞાને ત્યારે જ પાળતો થાય છે જ્યારે માતા-પિતા તેને કડકથી આદેશ આપે. આ પરિસ્થિતિ બાળકના શિક્ષણ પર ખૂબ અસર કરતી હોય છે. આથી બાળકને સલામતીનો અહેસાસ થાય તેવો પ્રેમ આપવો જોઈએ.
      બીજુ પગથિયું છે વિશ્વાસ : વિશ્વાસે વહાણ તરી જાય છે. વિશ્વાસ અપાવવો અને વિશ્વાસ રાખવો બંને જરૂરી છે.વિશ્વાસ અપાવવા માટે બાળકની પાસે ખોટુ ન બોલો. બાળકને ખોટી માહિતી ન આપો. બાળકના પ્રશ્નને ટાળો નહીં.જો બાળક દ્વારા પૂછાયેલ પ્રશ્નનો જવાબ તમને ખ્યાલ નથી તો ખોટો જવાબ ન દેતા બાળકને સાચો જવાબ જાણતી વ્યક્તિ કે એ પ્રશ્નને લગતા પુસ્તકો અપાવી શકાય.આમ, કરવાથી બાળકને તમારા પર વિશ્વાસ આવશે. બાળક પાસે હંમેશા સાચા પુરવાર થવાનો પ્રયાસ કરો જેનાથી બાળકને વિશ્વાસ આવે કે મારી સમસ્યાનું સમાધાન મારા પરીવાર પાસે છે. બાળકને વિશ્વાસ આવવાથી અને અપાવવાથી બાળકમાં આત્મશ્લાઘાની વૃતિ રહેતી નથી. તે મનમાં મૂંઝવણ અનુભવતો નથી. તેથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે.
      ત્રીજુ પગથિયું છે સારી આદતો વિકસાવો,નિયમમા રહો : બાળક અનુકરણથી જ્ઞાન અર્જિત કરવામાં પાવરધુ હોય છે એટલુ જ નહીં પણ અનુકરણ દ્વારા અનૌપચારિક રીતે ઘણુ શીખી જતો હોય છે. એમાય પરીવારના સભ્યો તેના માટે આદર્શ હોય છે આથી તે પરિવારના સભ્યોનું વધારે અનુકરણ કરતો હોય છે. આથી પરિવારની એ જવાબદારી બને છે કે બાળકમાં કોઈ ખરાબ લક્ષણ આવી ન જાય અને તેના જવાબદાર તેનો પરિવાર ન હોય. ડૉ.સ્નેહ દેસાઈ કહે છે કે બાળકને કદી નકારાત્મક સૂચનો ન આપવા જોઇએ પણ હકારાત્મક સૂચનો આપવા જોઈએ જેમકે બાળકને ફૂલ તોડો નહી તેમ ન કહેતા ફૂલની સંભાળ રાખો તેવા હકારાત્મક અભિગમ સાથે આદેશ આપીએ. એ બાબત ખાસ ધ્યાન રાખીએ કે આપણી ખરાબ આદતો હોય તો તેને છોડી દઇએ અને તે શક્ય ન હોય તો બાળક સામે કદી તે આદતને પુનરાવર્તીત ન કરીએ. પરીવાર ના દરેક સભ્ય બાળક સામે એક ચોક્કસ નિયમમાં રહે તો બાળક એમ જ શીખશે કે આમ જ જીવાય આનાથી બાળકમાં ખરાબ આદતો વિકાસ પામતી નથી.
      પરીવારના સભ્યો સાથે બેસી દરરોજ એક કલાક અથવા સપ્તાહે એક કલાક વાંચન પ્રવૃતિનું આયોજન કરો. જેનાથી બાળકને પણ વાંચન પ્રત્યે રસ જાગૃત થાય છે. આ ઉપરાંત શક્ય બને તો ઘરમાં પ્રાર્થના કરવી. અંતાક્ષરી  જેવી રમતો રમવી. વગેરે જેવી આદતો પણ પરીવારમાં વિકસાવવાથી બાળકના શિક્ષણમાં અનેરો લાભ મળે છે.
      ચોથુ પગથિયું છે દરેકનું માન જાળવો : માન આપવાથી જ માન મળે છે. નમે તે સૌને ગમે. બાળકની નઝર સામે પરીવારના કોઈ સભ્યનુ અપમાન ન થાય તેની કાળજી રાખો. જો એમ ન કરવામાં આવે તો બાળક પણ તે વ્યક્તિનું માન જાળવતો નથી. ક્યારે પણ બાળકનું અપમાન ન કરો. બાળકને ઠપકો પણ ન આપો. બાળકને હિનપતની લાગણીનો અહેસાસ ક્યારે પણ ન થવો જોઈએ. આમ, કરવાથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે. બાળક સ્વતંત્રતા અનુભવે છે. ત્યારે બાળક માનસિક સ્વસ્થતા અનુભવે છે.
      પાંચમું પગથિયું છે પરીવારને ક્લેશમુક્ત બનાવીએ : જર્મન મનોવિજ્ઞાન પરિષદે ધનવાન અને નિર્ધન કુટુંબોના સો-સો બાળકોની આરોગ્ય ચકાસણી કરી ત્યારે જાણવા મળ્યું કે સગવડ કે અગવડને કારણે તેમના આરોગ્યમાં કોઈ તફાવત ન હોતો. તેમજ ઉત્તમ કે હલકું ભોજન લેવા છતા તેઓની વચ્ચે આરોગ્યની બાબતમાં કોઇ મોટો તફાવત જણાયો ન હતો. પરંતુ જ્યારે બીજા સો-સો બાળકોને તેમની તેમની પર કૌટુંબિક અસર કેવી પડે છે એ દ્રષ્ટિ એ ચકાસવામાં આવ્યા તો તેનાથી જુદા જ સત્યો સામે આવ્યા. જેમના કુટુંબોમાં માનસિક તાણ, મનભેદો, અસંતોષ અને કંકાસ હતા તે બાળકો નબળા જણાયા. એટલું જ નહિં. પરંતુ રોગો અને કુટેવોના શિકાર પણ બનેલા જણાયા એથી ઊલટુ જે ઘરોમાં પ્રેમ, સજ્જતા અને સહકારનું વાતાવરણ હતું. તેઓ શારીરિક રીતે મજબૂત હોવા ઉપરાંત માનસિક દૃષ્ટિએ પણ હોશિયાર જણાયા હતા.
      આથી પરીવારને ક્લેશમુક્ત બનાવવો જોઇએ
      છઠ્ઠુ પગથિયું છે ઘરનું ભૌતિક વાતાવરણ શિક્ષણમય બનાવીએ : એટલે કે ઘરને શિક્ષણમય બનાવીએ. શાળા અને ઘર સ્વાભાવિક રીતે ભૌતિક વાતાવરણમાં જ ભિન્ન હોય છે.એટલે એનો અર્થ એ નથી કે ઘરમાં કાળું પાટિયું, ચૉક, ટી.એલ.એમ. વગેરે લગાવીએ શક્ય હોય તો તે પણ કરાય જેમાં કઈ ખોટું નથી. પણ તે ઘરમાં શક્ય બનતું નથી. તો પછી ઘરના વાતાવરણને કેવી રીતે શિક્ષણમય કરવું ?
1                        ઘરની દિવાલો પર સુવિચારો લખાવી શકાય.ઘરની દિવાલો પર ચિત્રો લગાવી શકાય, પરીવારની નિયમાવલી પણ લગાવી શકાય.
2                        ઘરમાં નાની લાઈબ્રેરી વિકાસાવી શકાય. ઘરના કોઈ ખૂણામાં કે કોઈ પડતર કબાટ કે પછી દિવાલમાં ખાના બનાવી નાની લાઈબ્રેરી બનાવી શકાય. જેનાથી પરીવારમાં વાંચવાની ટેવનો વિકાસ થાય છે. પરીવાર દરરોજ અથવા સપ્તાહે સમૂહમાં વાંચન પ્રવૃત્તિ યોજી શકે છે. લાઈબ્રેરીમાં બાળસાહિત્ય, સમાચાર પત્રો, ગણિત, વિજ્ઞાન, ધર્મગ્રંથો, નાની બાળ વાર્તાની પુસ્તિકાઓ વગેરે સાહિત્ય રાખી શકાય. બાળક વાંચન સમય દરમિયાન પોતાની શાળાનું હોમવર્ક પણ કરી શકે. આમ આ પ્રવૃત્તિથી બાળક અધ્યયન કરતો થાય છે અને અધ્યયનમાં તેને એકલતા નથી લાગતી. બાળક પરીવારનું અનુકરણ કરી વાંચન કરતો થાય છે.
3                        વાતાવરણને પ્રફૂલ્લિત કરવા ફૂલો તથા તુલસી ઉછેરીએ.
                 रोपानात् पालनात् सेकात् दर्शनात्स्पर्सना न्नृणाम् ।
                 तुलसी दाह्यते पाप वाक् मन: काय  संचितम् ।।
      અર્થાત્ તુલસીના છોડને રોપવાથી, તેનું રક્ષણ કરવાથી, તેને પાણી પાવાથી તેનું દર્શન કરવાથી  મનુષ્યોની વાણી, મન  અને કાયાના સમસ્ત સંચિત દોષ બળી જાય છે.
      આમ, તુલસી ખૂબ ગુણકારી હોય છે. વિજ્ઞાન પણ કહે છે કે તુલસી સતત પ્રાણવાયું આપે છે જેનાથી વાતાવરણ શુદ્ધ બને છે. અને શુદ્ધ વાતાવરણમાં મન પણ શાંત બને છે ત્યારે શિક્ષણ કાર્ય સારુ થઇ શકે છે.
       સામાન્ય રીતે બાળક પરીવારમાં શિક્ષણ કાર્ય કરતો નથી. શાળામાં અપાયેલ હોમવર્કને પણ તે ગૌણ સમજતો હોય છે. ત્યારે બાળક શિક્ષણમાં પાછળ રહે તે સ્વાભાવિક છે. જો એક પરીવાર પોતાના બાળકના શિક્ષણ પ્રતિ સજગ બને તો શિક્ષકનું 50% કાર્ય સંભવ બને છે. અને તેવા બાળકને અધ્યયન કરાવવું શિક્ષકને વધારે પસંદ પડતુ હોય છે. એક હાથે તાળી ન વાગે. એટલે પરીવારે ઘરમાં પોતાના બાળકના શિક્ષણના કાર્ય પ્રતિ સજગ બને. ઉપર પરીવારને શિક્ષણમય બનાવવા માટેના થોડા વિચાર આપેલા છે તેની પણ સહાય લઇ શકાય.

સંદર્ભ સૂચિ
1                        થાનકી જ્યોતિ, સર્વાંગી શિક્ષણ
2                        આચાર્ય શ્રીરામ શર્મા, તુલસીના ચમત્કારી ગુણો
3                        આચાર્ય શ્રીરામ શર્મા, મનની પ્રચંડ શક્તિ
4                        યુગ શક્તિ ગાયત્રી અંક-10 પેજ-21